સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યુ રાજીનામું અંતર-આત્માને માન આપીને રાજીનામું આપ્યા બાદ વ્યથા વર્ણવી ..
- 19 Mar, 2024
લોકસભાની ચુંટણીઓ નજીક આવતાની સાથે રાજકીય પક્ષોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.એવામાં ભરતી મેળો ચલાવનાર દેશની મોટી પાર્ટી ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. સોમવારે મોડી રાતે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે વિધાનસભાના અધ્યક્ષને ઇમેલ મારફતે રાજીનામું આપી દીધુ છે. જે બાદ આજ સવારથી ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. આ હલચલની વચ્ચે રાજીનામું આપ્યા બાદ કેતન ઈમાનદારે મીડિયા સામે પોતાની વ્યથા વર્ણવી છે.
પોતાની વ્યથામાં કેતન ઈમાનદારે જણાવ્યુ છે કે, ‘આ રાજીનામું કોઇ પ્રેશર ટેક્નિક કે એવું કાંઇ નથી. કેટલાય વખતથી મને એવુ હતુ કે, પાર્ટી સર્વોચ્ય છે અને પાર્ટી કહે તે પ્રમાણે અમારે કામ કરવું પડે છે. પરંતુ જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કોઇ કચાશ લાગે છે. મેં ઘણીવાર આ અંગે હળવી રીતે રજૂઆત કરી છે, બધાને આ અંગે જણાવ્યુ છે. નેતાઓ સત્તા માટે જ રાજકારણમાં આવતા હોય છે તેવો એક ભ્રમ લોકોમાં થઇ ગયો છે.
દરેક લોકો સત્તા માટે નથી આવતા. 2012માં અપક્ષ તરીકે જીત્યો ત્યારથી આજ સુધી હું મારી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છુ.’માંરા વિસ્તારના મોટા મોટા પ્રશ્નોને અત્યાર સુધી ઉપાડેલા છે. ખેડૂતોને લગતા મુદ્દાઓ, ખેડૂતોની વાત, તેમના વિસ્તારમાં વીજળીની વાત સહિતના મુદ્દાઓ તેમણે ઉઠાવેલા છે.જો કે આ વખતે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતા જે કામ થવા જોઇએ તે થતા ન હોવાથી કેતન ઇનામદારમાં નારાજગી જોવા મળતી હતી.કેતન ઇનામદારની છાપ તેમના વિસ્તારમાં એક દબંગ નેતા તરીકેની છે, તેઓ પોતાના લોકો માટે કાર્યકર્તાઓ માટે કામ કરતા જોવા મળ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘આ પહેલા પણ 2020માં મેં કહ્યુ હતુ કે, માન સન્માન સિવાય મોટું કોઇ સન્માન નથી. આ માત્ર કેતન ઇમાનદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો અવાજ છે ભલે કેતન નિમિત બન્યો છે.’કેતન ઈમાનદારે કહ્યુ કે, ‘બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું. પરિવાર હંમેશા મોટો થવો જોઇએ.
હું રાજીનામા પછી પણ ભાજપનો કાર્યકર્તા છુ અને લોકસભાની મારી વડોદરા સીટ રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારી લીડ મળે તે માટે હું તત્પર છુ પરંતુ આ રાજીનામું મારા અંતર આત્માનો અવાજ છે. 'તેમણે જણાવ્યુ કે, ‘અંતર આત્માના અવાજમાં એવું છે કે, જાહેર જીવનમાં જ્યારથી આવ્યો છું ત્યારથી લોકોને માનસન્માન આપ્યું છે. આખી જીંદગી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશ. પોતાના માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી. '
જો કે હજુ સુધી કેતન ઇનામદારનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ નથી. આજે સાંજ સુધીમાં તેઓ ગાંધીનગર આવે તેવી શક્યતા છે. બીજી તરફ જે રીતે જ્યોતિ પંડ્યાએ પોતાના બાગી સૂર બતાવ્યા છે અને હવે કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે, જે એ જ બતાવી રહ્યુ છે કે ભાજપમાં અસંતોષ ચરમસીમાએ છે.જેના કારણે જ ભાજપના નેતાઓ એક પછી એક એક્શન લેતા જોવા મળી રહ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ